Thursday, January 20, 2011

ક્ચ્છના લાખા ફૂલાણીએ એક હજાર વર્ષ પહેલાં બંધાવેલું - શ્રી કેરાનું શિવમંદિર

ક્ચ્છનો મધ્યકાલીન ઈતિહાસ બહુ સ્પષ્ટ નથી,પરંતુ જે કંઈ સાહિત્ય આપણી પાસે પ્રાપ્ત છે તે દ્વાર આ પ્રદેશના ઈતિહાસની મહત્ત્વની કડીઓ મળી રહે છે.
કેટલાક દસ્તાવેજો,તામ્રપત્રો,અભિલેખો,શિલાલેખો તથા સાહિત્યિક સંદર્ભ એવો નિર્દેશ કરે છે કે શકિતશાળી સોલંકી રાજાઓએ અહીં પણ રાજ કરેલું.
કચ્છના મધ્ય ભાગમાં લાખો ફૂલાણી નામનો શકિતશાળી રાજા રહેતો,જેની રાજધાની કપિલકોટ હતી. મૂળરાજ સોલંકી (ઈ.સ.942 થી 997) નો તે સમકાલીન રાજા હતો.
દંતકથા પ્રમાણે લાખા ફૂલાણીને સ્થાપત્યનો ખૂબ જ શોખ હતો. તેણે રાજધાની ફરતો કિલ્લો તથા શિવમંદિર બંધાવ્યાં હતાં. તે ધર્મનો આશ્રયદાતા હતો.
ભુજથી દક્ષિણે લગભગ બાર માઈલ ઉપર આવેલું કેરા ગામ ફુલાણીનું પાટનગર હતું. તેનું મૂળ નામ કાપયલેટ અથવો કોરાકોડ હતું.પ્રાચીન જાહોજલાલીના અવશેષ સ્વરૂપ એક શિવમંદિર અને કોટનો થોડો ભાગ આજે ફમ ભગ્ન હાલતમાં ઊભો છે.આ ભગ્નાવશેષોના સ્થાપત્ય અને કોતરકામ તેની પૂર્વ જાહોજલાલીની ઝાંખી ધરાવે છે.
આ શિવમંદિર કેરાની ઉત્તરે અને નાગમતી નદીના કિનારે આવેલું છે. મંદિર પૂર્વાભિમુખ છે. ભવ્ય ભૂતકાળનું આ સીમાચિહ્ન છે. મંદિર 21 મીટર લાંબું અને 10 મીટર પહોળું છે.મા મંદિરમાં પ્રદક્ષિણાનો રસ્તો પણ રાખેલો છે.શૈલીની દ્દષ્ટિએ મંદિર મહાગુર્જર શૈલીનું છે.આ મંદિર ઊંચી જગતી ઉપર ઊભું છે.રત્ન,વેદી તથા કીર્તિ મુખની મૂર્તિઓથી જગતી ઉપર સુશોભન કરેલું છે.પાયાથી સિખર સુધી એકદમ સરખા શિલ્પ અને સ્તંભો છે.અહીં મંદિરનું ક્ષેત્રફળ અને શિલ્પો બરાબરની સંખ્યામાં છે. શિખર પણ કલાત્મક છે. મંદિર ઉપર અને અંદરનો શિલ્પો ખદુરાહોનાં શિલ્પોની સાથે એ જ કક્ષાએ ઊભાં રહી શકે તેમ છે. એટલેજ સહેલાણીઓ આ સ્થળે અચૂક જાય છે.
કેરા અમદાવાદથી 421 કિ.મી. દૂર અને ભુજથી 19 કિ.મી. દૂર છે. ગાંધીઘામથી તે 58 કિ.મી. દૂર છે.
હાલનો કેરાકોટનો પ્રદેશ ઘણો સમૃદ્ધ છે. કોસ હાંકતા ખેડૂતો લાખા ફૂલાણીના દુહા ગાતા હોય છે. પુરાણા કોટની દીવાલ વટાવી લાખેશ્વર મંદિરના ભગ્ન શિવાલય તરફ જવાય છે. મંદિરનો ગૂઢ મંડપ મહદ અંશે નાશ પામ્યો છે.ગર્ભગૃહની દ્વારશાખ દેખાતી નથી. મંદિરનો શિખર ભાગ એક બાજુથી ઊભો છે,જયારે બીજી બીજુથી નાશ પામ્યો છે.એવું કહેવાય છે કે ક્ચ્છમાં થયેલા ઘરતીકંપને કારણે મંદિરનો શિખરભાગ નાશ પામ્યો છે.પ્રદક્ષિણા પંથમાં અંધારું ન પડે તે માટે મૂકવામાં આવેલા જાળીવાળા ગવાક્ષો આ મંદિરનાં સર્વોત્તમ અંગો છે, તો ચંદ્રશલાકા પ્રકારની કોતરણીવાળી સુંદર જાળીઓનું કોતરકામ સંવતના આઠમા સૈકાથી કચ્છમાં શરૂ થયું હતું.ગુજરાતમાં સૌ પ્રથમ સોરઠમાં આવેલ કદવાડના મંદિરમાં જાળીઓ મૂકવાનું શરૂ થયું હશે. મૈત્રક કાળમાં બંધાયેલા મંદિરોમાં મુકાયેલી જાળીઓમાં ગુપ્તકાલીન અસર દેખાય છે. કેરાકોટના લાખેશ્વર મંદિરની જાળીઓની નીચે કોઈ મંદિરના રંગમંડપની વેદિકા જેવો ભાગ કોરી કાઢેલો જણાય છે. મંદિરના પીઠ ભાગ ઉપરના કુંભ અને કળશના થરો મોટા અને ભારે છે. તેના ઉપરથી કેવાલનો ભાગ ચૈત્ય કમાનના સુશોભનથી શોભી રહ્યો છે. મંડોવરની જંઘા ઉપર કોતરાયેલ દેવદેવીઓની મૂર્તિઓ અને તેના ઉપર કોતરાયેલ ગ્રાસથરની પટ્ટી આંખને ગમી જાય તેવી છે.આ પટ્ટિકા ઉપર કોતરાયેલ રતિચિત્રમાં શિલ્પો ઘસાઈ ગયેલા હોવા છતાં આકર્ષક લાગે છે.શિખર ભાગ ઉપરના આઠ શૃંગો અને નવમું મુખ્ય શૃંગ જોતાં આ મંદિર સર્વતોભદ્ર પ્રાસ્દ શ્રેણીનું હોવું જોઈએ. આખુંય મંદિર જોતાં એવું લાગે કે કચ્છે નાગરશ્રેણીનાં સુંદર મંદિરનો બાંધવાની શરૂઆત સંવતના આઠમા સૈકાના અંતકાળથી શરૂ કરી હશે.
કેરાકોટના કિલ્લાનો ભાગ ઘણો પડી જવા પામ્યો છે, છતાં ચાર ખૂણે ચાર ઊંચા કોઠા અને આશરે 40 ફીટ જેટલી ઊંચાઈ ધરાવતો આ કિલ્લો 1000 વર્ષ પહેલાંના બાંધકામની ઉત્તમતા પુરવાર કરે છે.
અત્યારે તો અહીં મહેનતું કણબી અને ખોજા કુટુંબો રહે છે. તેમણે જૂના કિલ્લાના ખરેલા પથ્થરોનો ઉપયોગ પોતાના મકાનોમાં કર્યો છે. જૂના વખતમાં લાખા ફૂલાણી પછી કેરા પડયું ગુલમાલીશાહના હાથમાં.પીર સદ્રુદીન એમના વંશજ થાય.આગાખાન વંશના પીર ગુલામઅલીશા કડીવાલ આ ગામે થયા. તેમની અસર નીચે ધણાં લોહાણા,ભાટિયા,કણબી વગેરે કુટુંબોએ ઈસ્માઈલી ખોજા પંથ સ્વીકાર્યો હતો. પીરે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢયા. લોકોએ તેમને ત્યાં વસવાટ કરવા વિનંતી કરી. તેમણે કેરામાં રહી પંચતનના પવિત્ર નામે કૂબો ચણાવ્યો.કરાંચીમાં 1796માં તેઓ જન્નતશીન થયા.ત્યાંથી તેમના નશ્વર દેહને કેરા લાવી દબદબાપૂર્વક દફનાવવમાં આવ્યો. એની ઉપર મુરીદ ખોજાઓએ તેમનો મકબરો ચણાવ્યો.
કેરાની ધાર વચ્ચે દૂરદૂરથી નજરે પડતી ગુલમાલીશાની સફેદ અને ઊંચી દરગાહ કેરાના સીમાસ્તંભ ઉપર બની રહી છે. આજે પણ કેરાનું ભગ્નાવેશષ શિવમંદિર જોવાલાયક છે.

No comments:

Post a Comment